મારા વિશે: હું એક અનૈતિક-સમૃદ્ધ પ્લેબોય … અને તપસ્વી પવિત્ર માણસ પાસેથી જ્ઞાન શીખ્યો

હું – સુંદર મુસ્કોકા, ઓન, કેનેડામાં

પ્રથમ મૂળભૂત માહિતી. મારું નામ રાગનાર છે. હું સ્વીડિશ છું પણ કેનેડામાં રહું છું. હું પરિણીત છું અને અમારો એક પુત્ર છે.             

હું એક ઉચ્ચ મધ્યમ-વર્ગના વ્યાવસાયિક કુટુંબમાં મોટો થયો છું. હું મૂળ સ્વીડનનો છું, પણ જ્યારે હું નાનો હતો ત્યારે અમે કેનેડામાં સ્થળાંતર કર્યું, અને બીજા ઘણા દેશો જેમ કે અલ્જેરિયા, જર્મની અને કેમેરૂનમાં રહીને મોટો થયો, અને છેવટે યુનિવર્સિટી અભ્યાસ માટે કેનેડા પાછો ફર્યો. મારી માતાનો જન્મ ભારતમાં થયો હતો, તેઓ ત્યાં જ ઉછર્યા અને હિન્દી સરસ બોલે છે. જેમ જેમ હું મોટો થયો, તેણી મને વિવિધ હિન્દુ દેવ-દેવીઓ વિશે કહેતા અને તેણીએ તેના પુસ્તકમાં એકત્રીત કરેલી તસવીરો મને બતાવતાં. જો કે પશ્ચિમમાં, અને મુસ્લિમ દેશમાં, મોટો થયા હોવા છતાં, મારા કુટુંબ દ્વારા હું હિન્દુ ધર્મ માટે ખુલ્લો થયો હતો. આ બધા દ્વારા, બીજા બધાની જેમ હું  પણ ભરપૂર જીવનનો અનુભવ કરવા ઇચ્છતો હતો (અને હજી પણ ઈચ્છું છું) કે– જ્યાં મને એક સંતોષ સાથે, શાંતિની ભાવના, અર્થ અને હેતુ પ્રાપ્ત થાય – અને અન્ય લોકો સાથેના સંબંધ દ્વારા.

 ‘સાચું’શું છે અને ભરપુર જીવન શું છે તે વિશે મેં જુદા જુદા અભિપ્રાયો જાણ્યા હતા. મેં જે નિરીક્ષણ કર્યું તે એ હતું કે આપણે પશ્ચિમી લોકો પાસે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અભૂતપૂર્વ સંપત્તિ, ટેકનોલોજી અને તક હોવા છતાં, વિરોધાભાસ એ હતો કે તે ‘સંપૂર્ણ જીવન’  તેમને ભ્રામક લાગતું હતું. મેં જોયું છે કે સંબંધો અગાઉની પેઢીઓ કરતાં વધુ કામચલાવ અને અસ્થાયી હોય છે. મેં સાંભળ્યું છે કે જો આપણે ફક્ત ‘થોડું વધારે’  મેળવી શકીએ, તો આપણે હાંસલ કરી શકીશું. પરંતુ કેટલું વધારે?  અને બીજું વધારે શું? વૈજ્ઞાનિક? ટેકનોલોજી? આનંદ?

સુલેમાનનું જ્ઞાન

આ વર્ષો દરમિયાન, મારામાં અને મારી આસપાસની અજંપાની પરીસ્થિતિ ને કારણે, સુલેમાનના લખાણોએ મારા પર ઊંડી અસર કરી. પ્રાચીન ઇઝરાઇલના રાજા સુલેમાન પોતાના જ્ઞાન માટે પ્રખ્યાત હતા, તેમણે બાઇબલ (વેદ પુસ્તકમ્) માં અનેક પુસ્તકો લખ્યા છે જ્યાં તેમણે હું જે પૂછતો તેવા સમાન પ્રશ્નોનું વર્ણન કર્યું છે. તેમણે લખ્યું હતું:

 તેથી મેં મારી જાતને કહ્યું કે, “ચાલ ત્યારે, હવે ભરપૂર આનંદ કર, હવે હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે; પણ મને સમજાયું કે આ પણ નકામું કામ છે. મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?”

પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી તરબોળ કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ દુનિયા ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઇ ગ્રહણ કરું.

પછી મેં મારે પોતાને માટે મોટાં કામો ઉપાડ્યાં. મે પોતાને માટે મહેલો બંધાવ્યાં અને દ્રાક્ષાવાડીઓ રોપાવી. મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી. મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય. મેં પુરુષ નોકરો અને સ્ત્રી નોકરો ખરીદ્યાઁ. મારા ઘરમાંજ જન્મેલાં ગુલામો પણ મારી પાસે હતા. અગાઉ થઇ ગયેલા રાજાઓ પાસે હોય તેનાથીય ઘણાં વધારે ઢોરઢાંખરાં મારી પાસે હતાં.

મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

આ રીતે હું બળવાન અને શકિતશાળી થયો. અને જેઓ યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયા હતાં તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો; મારા જ્ઞાને મને આ બાબતો કરવા માટે શકિતમાન કર્યો.

સભાશિક્ષક 2: 1-10

ધન, ખ્યાતિ, જ્ઞાન, યોજનાઓ, સ્ત્રીઓ, આનંદપ્રમોદ, સામ્રાજ્ય, કારકિર્દી, દ્રાક્ષારસ… સુલેમાન પાસે તે બધું હતું – અને તે તેના અને આજના દીવસોમાં બીજા કોઈના કરતા વધારે હતું. આઈન્સ્ટાઇનના જેવી બુધ્ધિ, બિલ ગેટ્સની સંપત્તિ, બોલીવુડ સ્ટારના જેવી સામાજિક/જાતીયતાનું જીવન, તેમજ બ્રિટીશ રોયલ પરિવારના પ્રિન્સ વિલિયમ જેવા રાજવી વંશજ – બધા એકમાં સમાય જાય. તે સંયોજનને કોણ હરાવી શકે? તમે વિચારશો કે, તે, બધા લોકો કરતાં વધારે સંતુષ્ટ થઈ ગયો હશે. પરંતુ તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે:

 11 ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા તે પર, અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સઘળું વ્યર્થ તથા હવામાં બાચકાં ભરવા જેવું દેખાયું અને દુનિયા ઉપર મને કઇં લાભ દેખાયો નહિ. 23 કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

સભાશિક્ષક 2:11-23

તેમણે બતાવ્યું કે આનંદ, સંપત્તિ, કામ, પ્રગતિ, રોમાંસ ભરેલ પ્રેમનું વચન, આ બધું જ આખરે આપણી લાલસાને સંતોષવા માટે ભેગું કરવામાં આવ્યું હતું. અહીં આગળ શોધી કાઢવામાં આવ્યું.

હવે જ્યાં પણ હું મારી આસપાસ, મારા મિત્રો અથવા સમાજમાં નજર કરું છું, ત્યારે એવું લાગે છે કે સુલેમાને ભરપુર જીવનની શોધ કરતાં સર્વ જગ્યાએ જે કંઇ ઉપલબ્ધ હોય તે સર્વ બાબતો અપનાવી જોઇ. પરંતુ તેણે મને પહેલેથી જ કહ્યું હતું કે તે તે માર્ગો પર શોધી શક્યો નહીં. તેથી મેં જાણ્યું કે મને તે ત્યાં નહીં મળે અને મારે બીજે ક્યાંક શોધવાની જરૂર રહેશે.

મને બીજું કંઈક પણ પરેશાન કરી રહ્યું હતું. આ વાતે સુલેમાનને પણ પરેશાન કરી.

 19 કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા! 20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે. 21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે?”

સભાશિક્ષક 3:19-21

બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ દુનિયામાં થાય છે તેઓમાંનો એક અનર્થ છે; વળી માણસોનું અંત:કરણ ભૂંડાઇથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાંઓમાં ભળી જાય છે. કારણ કે તેઓને કોઇ આશા નથી. તેમને તો સામે ફકત મૃત્યું જ દેખાય છે. જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે:કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.જીવતાં મનુષ્યો એટલું જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે. પરંતુ મરેલાંઓ તો કશુંજ જાણતા નથી. તેઓને કોઇ બદલો મળતો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામી જાય છે.

સભાશિક્ષક 9:૨-5

સુલેમાનના લખાણનો પડઘો મારી પર પડ્યો, જેના કારણે મને ઉત્તર શોધવાનું કારણ મળ્યું. જીવન, મૃત્યુ, અમરત્વ, અને જીવનના અર્થ વિશેના પ્રશ્નો મારી અંદર ઉદ્દભવવા લાગ્યા.

ગુરુ સાંઈ બાબાનું જ્ઞાન

યુનિવર્સિટીમાં, મારા એન્જિનિયરિંગ પ્રોફેસરોમાંના એક શ્રી સાંઇ બાબાના ભક્ત હતા અને તેમણે મને તેમના ઘણા પુસ્તકો ઉધાર આપ્યા, જે મેં ખૂબ ઉત્સાહથી વાંચ્યા. અહીં એક ટૂંકસાર છે જે મેં મારા પોતાના માટે ઉતાર્યો છે.

“ખરેખર તમારી ફરજ શું છે?….  

પ્રથમ તો તમારા માતાપિતા પ્રત્યે પ્રેમ અને આદર અને કૃતઘ્નતા સાથેનું વલણ  કેળવોબીજું, સાચું બોલો અને સદાચારીથી કાર્ય કરો. ત્રીજું, જ્યારે પણ તમારી પાસે થોડી ફ઼ુરસદની પળો હોય, ત્યારે તમે તમારા મનમાં ઈશ્વરના નામનું રટણ કરો. ચોથું, ક્યારેય બીજાની ખરાબ વાતો કરવામાં સામેલ થશો નહીં અથવા બીજામાં દોષો શોધવાનો પ્રયત્ન ન કરો.અને છેલ્લે, બીજાને કોઈપણ રીતે દુ:ખ ન પહોંચાડો” સત્ય સાંઈ બોલે છે ૪,     પૃષ્ઠ 348—349

આ પવિત્ર હિન્દુ માણસે જે શીખવ્યું તે ખરેખર સારું હતું કે કેમ તે જોવા માટે મેં સાંઇ બાબાના લખાણનો અભ્યાસ કર્યો. મેં જોયું કે આ ઉપદેશો સારા હતા, ખરેખર સારા હતા. આ તે શિક્ષણ છે જે પ્રમાણે મારે જીવવું જોઈએ.

પરંતુ ત્યાં જ એક મોટી સમસ્યા મારી સામે આવી. આ પ્રશ્ન મારામાં હતો, તે ઉપદેશોમાં નહીં. કેમ કે મેં તે પ્રમાણે જીવવાનો પ્રયાસ કર્યો, પછી ભલે હું આ ઉપદેશોની કેટલી પણ પ્રશંસા કરું અને તે પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું, પણ મને લાગ્યું કે હું તેમને સતત પાળી શકતો ન હતો. હું સતત આ સારા આદર્શોથી ઉતરતી કક્ષાનું જીવન જીવતો હતો.

મને એવું લાગતું હતું કે મારી પાસે પસંદગીની બે રીત છે. સુલેમાન દ્વારા મૂર્તિમાન કરવામાં આવેલ જીવનની રીત, કે જે સામાન્ય રીતે વિશ્વભરમાં અનુસરવામાં આવે છે, તે પોતાના માટે જીવવા માટે હતી, કે જે મને પસંદ છે તે દ્વારા કંઇક જીવનનો અર્થ, આનંદ અથવા આદર્શો હાંસલ કરી શકાય તેમ હતું. પરંતુ મેં જાણ્યું કે સુલેમાન પણ તે માર્ગે ચાલતાં નિષ્ફ઼ળ ગયો હતો – અથવા મેં ઘણા લોકોને તે માર્ગે જતાં ઉતરતી કક્ષાનું જીવન જીવતાં જોયા હતા. તેમાંથી મળતો સંતોષ ભ્રામક અને ગુંચવાળાથી ભરેલ હતો. સાંઈ બાબા દ્વારા મૂર્તિમંત માર્ગ પર જીવવું અશક્ય હતું, કદાચ તેમના જેવા ગુરુ માટે નહીં, પણ મારા જેવા ‘સામાન્ય’  વ્યક્તિ માટે. આ દુર્લભ આદર્શોને જાળવી રાખવા માટેના સતત પ્રયત્નમાં સ્વતંત્રતા નહોતી – તે ગુલામી હતી.

સુવાર્તા – તે સ્વીકારવા યોગ્ય છે

મારી શોધમાં મેં ઈસુ (યેશુ સત્સંગ) દ્વારા આપવામાં આવેલ પ્રવચનો અને ઉપદેશો કે જે બાઇબલની સુવાર્તા (વેદ પુસ્તકમ્) માં નોંધ્યા છે તે વાંચ્યા હતા. ઈસુના આવાં નિવેદનો મને અસર કરી ગયા

 “… તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું”

યોહાન 10:10

 28 “તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. 29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો. 30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”

માત્થી 11: 28-30

મને સમજાયું કે કદાચ, ચોક્ક્સ, અહીં એક જવાબ હતો જે અન્ય માર્ગોની નિરર્થકતા તરફ઼ ધ્યાન દોરે છે. છેવટે, સુવાર્તા  નો શાબ્દિક અર્થ ‘સારા સમાચાર’  છે. શું સુવાર્તા ખરેખર સારા સમાચાર હતા? એનો જવાબ આપવા માટે મારે સુવાર્તા વિષેની બુધ્ધિપૂર્વકની સમજ કેળવવાની જરૂર છે. મારે સુવાર્તા વિશે ટિકાત્મક રીતે વિચાર કરવો પણ જરૂરી છે, એક બુધ્ધીવગરની ટીકા નહીં.

મારી એક સમજ એ છે કે જ્યારે કોઈ આ માર્ગ પર જાય છે ત્યારે કોઇ સંપુર્ણ સફ઼ળતા સુધી પહાંચતું નથી, પરંતુ મને ખબર પડી કે સુવાર્તા આ મુદ્દાઓના જવાબો આપે છે. તેનો મુખ્ય મુદ્દો તે બાબતોને સંબોધવા માટે છે જેવી કે – ભરપુર જીવન, મૃત્યુ, સાર્વકાલિક જીવન, અને આપણા કુટુંબના સંબંધોમાં પ્રેમ, અપરાધ ભાવના, ડર અને ક્ષમા જેવી વ્યવહારુ ચિંતાઓની બાબતો. સુવાર્તા દાવો કરે છે કે આ તે પાયો છે કે જેના પર આપણે આપણું જીવન બાંધી શકીએ છીએ. એવું શક્ય છે કે કોઈ સુવાર્તા દ્વારા આપવામાં આવેલા જવાબોની સાથે સંમત થાય નહીં અથવા તેના પર વિશ્વાસ ન કરે, પરંતુ જ્યારે તે માનવ જીવનના ખુબજ પાયાના પ્રશ્નોને વાચા આપે છે ત્યારે તે અંગે અજાણ રહેવું તે મૂર્ખતા સમાન ગણાશે.

હું એ પણ શીખ્યો કે સુવાર્તાથી હું ઘણી વાર અસ્વસ્થ બન્યો. એવા સમયોમાં કે જ્યારે ખુબ જ આરામદાયક જીવન જીવવા આપણા માટે ઘણા પ્રલોભનો આવ્યા, ત્યારે સુવાર્તાએ મારા હૃદય, દિમાગ, આત્મા અને શક્તિને પડકાર ફેંક્યો કે, જો કે તે જીવન આપે છે, પરંતુ તેનો માર્ગ સરળ નથી.

મેં સુવાર્તાને અનુસરવાની યાત્રા શરૂ કરી, મને ભારતભરમાં કામ કરવાનો અને નેપાળ જવાનો લહાવો મળ્યો. મારું ફોરેસ્ટ એન્જિનિયરિંગ મને વિવિધ સહકાર્યકરો સાથે ઘણી જગ્યાએ લઈ ગયુ. આ સંદર્ભમાં, હું વાર્તાલાપ કરી શક્યો અને વૈદિક સંદર્ભમાં સુવાર્તા કેવી રીતે સુસંગત, સાચી અને અર્થપૂર્ણ છે તે વિશેની વધુ સમજ મેં મેળવી. હું આશા રાખું છું કે તમે સુવાર્તાને ધ્યાનમાં લેશો તો તમે પણ તે જ બાબત શોધી શકશો.