પંક્તિ ૨ – પુરૂષા, અમરત્વના ઈશ્વર

આપણે પુરૂષાસુકતાની પ્રથમ પંક્તિમાં જોયું કે પુરૂષાને સર્વજ્ઞ, સર્વસમર્થ અને સર્વવ્યાપી તરીકે દર્શાવામાં આવ્યા હતા. ત્યારબાદ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે શું પુરૂષા કદાચને ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત) હોઈ શકે અને આ પ્રશ્ન મનમાં રાખી પુરૂષાસુક્તાની આગળ સફર ખેડી. તો હવે આપણે બીજી પંક્તિએ પહોંચી ગયા જે પુરૂષા (મનુષ્ય)ની અસાધારણ વ્યાખ્યા કરવાનું જારી રાખે છે. અહીં સંસ્કૃત લીપીયાંતરણ અને અંગ્રેજીમાંથી ભાષાંતર આપેલ છે (સંસ્કૃત લીપીયાંતરણ પ્રાચીન વેદોમાં ખ્રિસ્ત નામના પુસ્તકના મારા અભ્યાસ પર આધારિત છે જેના લેખક જોસેફ પાડીનજારેકરા છે. (પાન ૩૪૬, ૨૦૦૭)

પુરૂષાસુકતાની બીજી પંક્તિ
અંગ્રેજીમાંથી ભાષાંતર સંસ્કૃત લીપીયાંતરણ
પુરૂષા જ સમગ્ર બ્રમ્હાંડ છે, જે હતું ને જે થશે. વળી તે અમરત્વ આપનાર પ્રભુ છે, જે તેઓ આહાર વગર પૂરું પાડે છે [કુદરતી દ્રવ્ય/પદાર્થ] પુરૂષા એવેદમ સર્વમ યાદભૂતમ યક્કા ભાવ્યમ ઉતામર્તાત્વસ્યેસાનો યાદાન્નેનાતીરોહતી

પુરૂષાના ગુણલક્ષણ

પુરૂષા આખા બ્રમ્હાંડથી પણ સર્વોચ્ચ છે (સંપૂર્ણ અવકાશ અને દ્રવ્યથી પર) અને સમયનો પ્રભુ છે (‘જે હતો ને જે હશે’) તેમજ ‘અમરત્વનો પ્રભુ’ – અનંતજીવન. હિંદુ પુરાણોમાં ઘણાં બધાં દેવોની વાત આવે છે પરંતુ આ પ્રકારના અનંત ગુણો અને લક્ષણોથી કોઈને નવાજવામાં આવ્યા નથી.

આવા વિસ્મયકારી અને પ્રેરણાદાયક ગુણલક્ષણો (વિશેષતા) કેવળ એક જ સત્ય ઈશ્વરના હોઈ શકે – ઉત્પન્નકર્તા પ્રભુ પોતે જ. આ કદાચને ઋગ્વેદમાં દર્શાવેલ પ્રજાપતિ હોઈ શકે (જે યહૂદી શાસ્ત્ર(જુના કરાર)માં યહોવા સાથે સમાનાર્થી છે). આથી આ મનુષ્ય એટલે કે પુરૂષાને એક સર્વોચ્ચ અને સત્ય ઈશ્વરના અવતાર તરીકે સમજી શકાય છે – સર્વ સૃષ્ટિના પ્રભુ.    

અહીં એક બીજી ખાસ વાત એ છે કે આ પુરૂષા આપણને અમરપણું (અનંતજીવન) પૂરું પાડે છે. તેઓ આ માટે કુદરતી તત્વ/દ્રવ્ય નો ઉપયોગ કરતા નથી, એટલે કે તેઓ કુદરતી પ્રક્રિયાનો કે કુદરતી વસ્તુ કે બ્રમ્હાંડની કોઈ ઉર્જાનો ઉપયોગ અનંત જીવન આપવા માટે કરતા નથી. આપણે સર્વ મૃત્યુ અને કર્મના શ્રાપ તળે છીએ. આપણા અસ્તિત્વની આ વ્યર્થતા જેનાથી છુટકારો મેળવવા આપણે કેટલું બધું કરીએ છીએ: પૂજાપાઠ, સ્નાન, અને અન્ય તપસ્યાઓ. જો આ  બાબત સાચી હોય અને જો થોડી ઘણી પણ શક્યતા હોય કે આ પુરૂષા અનંતજીવન આપવા માટે ઈચ્છુક તેમજ સમર્થ હોય તો તેના વિશે માહિતગાર બનવું ખરેખર ડહાપણભર્યું ગણાશે.  

વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)ના ઋષિઓ સાથે સરખામણી

આગળ જે ચર્ચા કરી તે ધ્યાનમાં રાખી ચાલો માનવ ઈતિહાસના સૌથી પ્રાચીન પવિત્ર લખાણોમાંથી એકને તપાસીએ. તે યહૂદી શાસ્ત્ર (જેને વેદ પુસ્તક અથવા પવિત્ર બાઈબલમાં જુનો કરાર કહે છે)માં મળી આવે છે. આ પુસ્તક પણ ઋગ્વેદની જેમ જ દેવવાણી, કાવ્યો, ઈતિહાસ, અને ભવિષ્યવાણીનો સંગ્રહ છે જે ઘણાં બધા અલગ અલગ ઋષીઓ દ્વારા જુદાં જુદાં યુગોમાં લખાયા. તેથી જુના કરારને દૈવી પ્રેરણા વડે લખાયેલ ઘણાં બધા પુસ્તકોનો એક સંગ્રહ (પુસ્તકાલય) તરીકે સમજવું વાજબી છે. આમાંના મોટાભાગના લખાણો યહૂદી ઋષીઓ દ્વારા લખાયેલા છે જેઓ મહાન ઋષિ અબ્રાહમ કે જે ઈ. પૂ. ૨૦૦૦માં જીવ્યા તેમના વંશજો હતા. ઋષિ અબ્રાહમ જીવતા હતા ત્યારે તો યહૂદી દેશ જેવું કંઈ પણ નહોતું. વળી જેમણે ઋષિ અયૂબનો અભ્યાસ કર્યો છે તેઓ એવો અંદાજ લગાવે છે તેઓ ઈ. પૂ. ૨૨૦૦માં જીવ્યા, આજથી લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા.   

…અયૂબના પુસ્તકમાં

આ પવિત્ર પુસ્તકનું નામ તેમના નામ ઉપરથી અયૂબ પડ્યું, તેમના સાથીદારો સાથેની તેમની વાતચીત નીચે પ્રમાણે નોંધાયેલ છે.

પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે,

અને અંતમાં તે પૃથ્વી પર ઊભો રહેશે.

મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી

પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ.

તેને હું પોતાની જાતે જોઈશ;

મારી આંખો તેને જોશે, બીજાની નહિ.

એ સારું મારું હૃદય મારામાં કેવું વ્યાકુળ થાય છે!

અયૂબ ૧૯:૨૫-૨૭

અયૂબ અહીં આવનાર ‘ઉદ્ધારક’ ની વાત કરી રહ્યાં છે. આપણે સમજીએ છીએ કે અયૂબ ભવિષ્ય તરફ જુએ છે કારણ કે ઉદ્ધારક પૃથ્વી પર ઊભો ‘રહેશે’ (એટલે ભવિષ્યકાળ છે). અને પૃથ્વી પર સર્વ સમયોમાં આ ઉદ્ધારક આજે પણ જીવંત છે, પુરૂષાસુક્તાની આ પંક્તિમાં જેમ પુરૂષા માટે કહેવામાં આવ્યું કે તે સમય(કાળ)નો પ્રભુ છે કેમ કે તેનું અસ્તિત્વ આપણી માફક સમયને આધારિત કે માર્યાદિત નથી.    

અયૂબ ત્યારબાદ એવું જાહેર કરે છે કે ‘મારી ચામડીનો નાશ થયા પછી’ (એટલે કે મરણ બાદ) તે તેને (ઉદ્ધારકને) જોશે અને સાથે સાથે ‘ઈશ્વરને જોશે’. આનો મતલબ આ આવનાર ઉદ્ધારક એ ઈશ્વરનો અવતાર છે, જેમ પુરૂષા પણ પ્રજાપતિનો અવતાર છે તેમ. પરંતુ પોતાના મૃત્યુ બાદ અયૂબ તેને (ઉદ્ધારકને) કેવી રીતે જોઈ શકે? આપણે  આને ભુલ ના સમજીએ એટલે અયૂબ તરત જ ભારપૂર્વક જણાવે છે કે ‘મારી આંખો તેને જોશે,- બીજાની નહિ’ મારી આંખો મારા ઉદ્ધારકને પૃથ્વી પર ઊભેલો જોશે. આનો ખુલાસો એટલો જ થઈ શકે કે આ ઉદ્ધારકે અયુબને અમરત્વ (અનંતજીવન) બક્ષ્યું કે જેથી અયૂબ આવનાર દિવસની આશાનો અણસાર આપે છે કે જયારે તેનો ઉદ્ધારક, કે જે પોતે ઈશ્વર છે, પૃથ્વી પર ઉતરી આવે છે અને અયુબને અમરપણું મળ્યું હોવાથી ફરીથી તે પોતાની આંખોથી તેના ઉદ્ધારકને જુએ છે. આ આશાએ અયૂબને એવો જકડી રાખ્યો કે તેનું હૃદય વ્યાકુળતાથી એ દિવસની આશા રાખી રહ્યું. એ એવો મંત્ર હતો જેનાથી તેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયુ.  

…અને યશાયાહ

વળી યહૂદી ઋષીઓ પણ એક આવનાર મનુષ્ય વિશે વાત કરે છે જે ઋગ્વેદના પુરૂષા અને અયૂબના ઉદ્ધારકની વાત સાથે સમાનતા ધરાવે છે. ઋષિ યશાયાહ પણ આમાંના એક છે જે ઈ.પૂ. ૭૫૦માં હયાત હતા. દૈવી પ્રેરણાથી તેમણે ઘણી બધી દેવવાણી લખી. આવનાર મનુષ્ય વિશે તેમણે આમ લખ્યું:  

પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે  ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે ગાલીલને એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.

અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે.

મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે.

કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે,

આપણને પુત્ર આપવામાં આવ્યો છે;

તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે;

અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને

શાંતિનો સરદાર”,  એ નામ આપવામાં આવશે.

યશાયાહ ૯:૧-૨,૬

બીજા શબ્દોમાં કહીએ તો ઋષિ યશાયાહ ભવિષ્યમાં શું થવાનું છે તે અગાઉથી જોતા, એક પુત્રના જન્મ વિશે જાહેર કરે છે કે જેને ‘પરાક્રમી ઈશ્વર … એ નામ આપવામાં આવશે’. આ સમાચાર ખાસ કરીને એ લોકોને માટે ખુબ જરૂરી હતા કે જેઓ ‘મરણછાયાના દેશમાં વસનારા…’ હતા. આનો મતલબ શું? આપણે જીવતા જાણીએ છીએ કે મૃત્યુ કે કર્મના નિયમથી આપણે બચી શકતા નથી. તેથી આપણે પૂર્ણ રીતે હંમેશા ‘મરણની છાયામાં’ જ જીવીએ છીએ. આથી આ આવનાર પુત્ર, જે ‘પરાક્રમી ઈશ્વર’ કહેવાશે, તે જ જેઓ (પોતાના) આવનાર મૃત્યુની છાયામાં જીવે છે તેમને માટે મહાન જ્યોતિ અથવા આશા બને છે.

… અને મીખાહ

મીખાહ, એક અન્ય ઋષિ જેઓ ઋષિ યશાયાહના (ઈ.પૂ. ૭૫૦) સમકાલીન હતા, તેમણે પણ આ આવનાર વ્યક્તિ (પુત્ર) વિશે દેવવાણી કરી:

પણ  હે બેથલેહેમ એફ્રાથા,

જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી,

તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે

કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે,

જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.

મીખાહ ૫:૨

ઋષિ મીખાહ જણાવે છે કે એફ્રાથા વિસ્તારમાં બેથલેહેમ નગરમાંથી જ્યાં યહુદા કુળ (એટલે યહૂદીઓ) રહે છે તેમાંથી એક પુરૂષ આવશે. આ માણસ વિશે એકદમ અદભુત વાત એ છે કે જો કે તે માનવઇતિહાસમાં કોઈ એક ચોક્કસ સમયે બેથલેહેમ નગરમાંથી ‘આવશે’, પરંતુ તેની હયાતી તો સમયની શરૂઆત થઈ તે અગાઉથી હતી. પુરૂષાસુક્તાની બીજી (૨) પંક્તિ અને ઋષિ અયૂબના આવનાર ઉદ્ધારકની જેમ આ માણસ તમારી અને મારી જેમ સમયથી માર્યાદિત હશે નહિ. તે સમયથી પર એવા પ્રભુ હશે. આ એક દૈવી લાક્ષણિકતા છે, માણસને આ શક્ય નથી, અને આથી આ સઘળાં (ઋષીઓ) એક જ વ્યક્તિ સબંધી વાત કરી રહ્યાં છે.

ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત)માં પરિપૂર્ણ થયું

આ વ્યક્તિ કોણ છે? મીખાહ આપણને એક મહત્વનો ઐતિહાસિક સંકેત (ઈશારો) કરે છે. આવનાર વ્યક્તિ જે છે તે બેથલેહેમમાંથી આવશે. આ બેથલેહેમ એક વાસ્તવિક નગર છે જે હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે  છે અને અત્યારના ઈઝરાયેલ દેશના પશ્ચિમી કાંઠા વિસ્તારમાં સ્થિત છે. તમે ગુગલ પર તેને ખોળી નકશા પર જોઈ શકો છો. આ કોઈ મોટું નગર નથી, અને તે ક્યારેય મોટું નગર નહોતું. પરંતુ આખા વિશ્વમાં તે ખુબ પ્રખ્યાત અને વિશ્વ સમાચારોમાં આખું વર્ષ છવાયેલું રહે છે. શા માટે? કારણ કે તે ઈસુ ખ્રિસ્ત (ઈસુ સત્સંગ)નું જન્મ સ્થળ છે. આ જ નગરમાં ૨૦૦૦ વર્ષ પૂર્વે તેમનો જન્મ થયો હતો. ઋષિ યશાયાહ આપણને એક બીજો સંકેત આપે છે કે આ વ્યક્તિ ગાલીલ પર પ્રભાવ પાડશે. અને જો કે ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત) જેઓ બેથલેહેમમાં જન્મ્યા (જેમ મીખાહે ભાખ્યું હતું તેમ), તેમનો ઉછેર અને એક ગુરુ તરીકેનું સેવાક્ષેત્ર ગાલીલ હતું, જેમ ઋષિ યશાયાહે ભાખ્યું હતું તેમ. બેથલેહેમ એ જન્મસ્થળ અને ગાલીલ એ સેવાક્ષેત્ર ઈસુ સત્સંગ (ઈસુ ખ્રિસ્ત)ના જીવનના બે સૌથી મહત્વના અને પ્રચલિત પાસાં છે. અહીં આપણે જુદાં જુદાં ઋષીઓ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ ઈસુ ખ્રિસ્ત (ઈસુ સત્સંગ)માં પૂર્ણ થતા જોઈ શકીએ છીએ. શું એ શક્ય છે કે ઈસુ એ જ પુરૂષા/ઉદ્ધારક/શાસક છે કે જેના વિશે પ્રાચીન ઋષિઓએ અગાઉથી ભાખ્યું? આ પ્રશ્નનો ઉત્તર એ કુંચી હોઈ શકે જે આપણે ‘મરણની છાયામાં’ (કર્મના બંધન હેઠળ) જીવતા લોકોને સારું કદાચને અમરપણું આપતું તાળું ખોલી શકે. આ સબંધી વધુ વિચાર અને અભ્યાસ  યથાર્થ છે. તેથી પુરૂષાસુક્તાનો આગળ અભ્યાસ આપણે જારી રાખીશું અને યહૂદી વેદ પુસ્તકના ઋષિઓની દેવવાણી સાથે તેની સરખામણી પણ કરતા જઈશું.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *