પતિત થયેલ (ભાગ ૨) … લક્ષ્ય ચૂકી જવું

પ્રારંભમાં ઈશ્વરની પ્રતિમામાં બનેલા આપણે કેવી રીતે પતિતાઅવસ્થા આવી પડ્યા તે આપણે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માંથી છેલ્લે જોયું હતું. એક તસ્વીર જેણે મને આ બાબત વધુ સારી રીતે  ‘જોવામાં’ મદદ કરી તે હતી મધ્ય ભૂમિના ઓર્ક, જે યોગીઓમાંથી પતિત થયેલા હતા.   

પાપનું મૂળ

પવિત્ર બાઈબલના ઉત્પત્તિ નામના પુસ્તકમાં આ જોવા મળે છે. ઈશ્વરની પ્રતિમામાં ઉત્પન્ન થયા બાદ તુરંત જ મનુષ્યની પરીક્ષા કરવામાં આવી. આ વૃતાંતમાં એક ‘સર્પ’ સાથેના વ્યવહારની વાત આવે છે. સર્પને સર્વત્ર લોકો સામાન્ય રીતે શેતાન સાથે સરખાવે છે – એક એવો આત્મા જે ઈશ્વરથી વિરુધ્ધ છે. આખા બાઈબલમાં શેતાન સામાન્ય રીતે એક યાં બીજા વ્યક્તિ દ્વારા લોકને પાપ કરવા લલચાવે છે. આપણે વાત કરી રહ્યાં છે તે વૃતાંતમાં શેતાન એક સર્પ સ્વરૂપે આવે છે. તે આ પ્રમાણે નોંધેલ છે.

    હોવા દેવ દ્વારા બનાવેલાં કોઈ પણ જંગલી પ્રાણી કરતાં સાપ વધારે કપટી હતો. (તે સ્ત્રીને દગો કરવા ઈચ્છતો હતો.) સાપે સ્ત્રીને કહ્યું, “હે સ્ત્રી, તમને દેવે ખરેખર એમ કહ્યું છે કે, તમાંરે બાગનાં કોઈ પણ વૃક્ષનાં ફળ ખાવાં નહિ?”
2 સ્ત્રીએ સાપને કહ્યું, “ના, દેવે એવું કહ્યું નથી. અમે બાગનાં વૃક્ષોનાં ફળ ખાઈ શકીએ છીએ.
3 પણ એક વૃક્ષ છે જેનાં ફળ અમે ખાઈ શકતાં નથી. દેવે અમને કહ્યું છે કે, ‘બાગની વચ્ચોવચ્ચ જે વૃક્ષ છે તેનાં ફળ તમાંરે ખાવાં નહિ, તેમજ તેને અડવું પણ નહિ, નહિ તો મૃત્યુ પામશો.”‘
4 પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ.”
5 દેવને ખબર છે કે, “જો તમે એ વૃક્ષનાં ફળો ખાશો તો તમને ખરાખોટાની સમજ પડશે અને તમે દેવ જેવા થઈ જશો.”
6 સ્ત્રીએ જોયું કે, વૃક્ષ સુંદર છે અને તેનાં ફળ પણ ખાવા માંટે સારાં છે અને વૃક્ષ તેને બુદ્વિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું અને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડાં ફળ તેને પણ આપ્યાં અને તેણે પણ તે ખાધાં.

ઉત્પત્તિ ૩:૧-૬

મનુષ્યના પરીક્ષણના મૂળમાં ‘ઈશ્વર સમાન બનવા’ની લાલચ હતી. મનુષ્યે સર્વ બાબતો માટે અત્યાર સુધી ઈશ્વર પર જ ભરોસો રાખ્યો હતો, સઘળું ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જ (અક્ષરસઃ) તેમણે કર્યું ને પડ્યો બોલ ઝીલ્યો હતો. પરંતુ હવે આ બધું મુકી દઈ પોતે જ ‘ઈશ્વર સમાન’ બનવાની પસંદગી કરવાની હતી, આમાં તેમણે ઈશ્વર પર નહિ પણ પોતાની ઉપર જ ભરોસો મુકવાનો હતો ને પોતાનું જ સાંભળવાનું હતું. જેથી તેઓ પોતે જ ‘દેવો’ બની જાય, પોતાના જહાજના કપ્તાન, પોતાના ભાગ્યના ધણી, સ્વતંત્ર અને કોઈને પણ જવાબ આપવા બંધાયેલ નહિ એવા.

ઈશ્વરની વિરુધ્ધ આ બળવા દરમ્યાન મનુષ્યની અંદર કશુંક બદલાઈ ગયું. જેમ આ ફકરો જણાવે છે, તેમને લાજ (શરમ) લાગી અને પોતાના શરીરોને ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ બધું થયું તેના તુરંત બાદ જ જયારે ઈશ્વરે આદમને તેના આજ્ઞાભંગ વિશે પૂછ્યું તો આદમે હવા (અને ઈશ્વર જેણે તેને બનાવી હતી)ને દોષ દીધો. હવા એ પાછુ સર્પ ઉપર દોષ ઢોળ્યો. કોઈએ પણ ભુલ માટે પોતાની જવાબદારી સ્વીકારી નહિ.

આદમના બળવાનું પરિણામ

એ દીવસે જે શરૂ થયું તે જારી જ રહ્યું કેમ કે આપણને વારસામાં એ જ સ્વભાવ મળ્યો છે. તેથી આપણે પણ આદમ જેવું જ વર્તન દાખવીએ છીએ – આપણને આદમની આ પ્રકૃતિ વારસામાં મળી છે. ઘણાં બાઈબલ સબંધી એવી ગેરસમજ મેળવે છે કે આદમના બળવા માટે આપણને દોષિત ગણવામાં આવ્યા છે. ખરું જોતા, દોષ તો કેવળ આદમને જ મળ્યો, પણ આપણને તે બળવાના પરિણામ ભોગવવા પડી રહ્યાં છે. આ બાબતને આપણે આનુવંશિક દ્રષ્ટિકોણથી સમજી શકીએ છીએ. સંતાનો માં-બાપ પાસેથી પોતાના આનુવંશિક લક્ષણો મેળવે છે – સારા કે ખરાબ – જે જનીન વડે આપણામાં ઉતરી આવે છે. આપણે પણ આદમ તરફથી આ આંતિરક વિદ્રોહી સ્વભાવનો વારસો મેળવ્યો, જો કે અજાણતા જ, પરંતુ આદમે જે બળવો શરૂ કર્યો તેને આપણે પણ આપણી પોતાની ઈચ્છાથી જ આગળ ધપાવીએ છીએ. આપણે કદાચને આખા બ્રમ્હાંડના પ્રભુ થવા ભલે ના ઈચ્છતા હોઈએ, પરંતુ ઈશ્વરથી સ્વતંત્ર રહીને આપણી અંગત દુનિયાના ભગવાન તો આપણે જ બની રહેવા માંગીએ છીએ.     

આજે પાપની અસરો કેટલી દ્રશ્યમાન

આપણા મનુષ્ય જીવન સબંધી આ વૃતાંત ઘણું બધું સમજાવી જાય છે જેને આપણે અણદેખું કરીએ છીએ. આથી જ સર્વત્ર સર્વએ બારણાંને તાળા મારવા પડે છે, એટલે જ પોલીસ, વકીલો, બેંકોના પાસવર્ડની ગુપ્તતા વગેરેની જરૂર પડે છે – કેમ કે આપણી મોજુદા અવસ્થામાં આપણે એકબીજાનું ચોરી લઈએ છીએ. આથી જ મોટા સામ્રાજ્યો કે નાનો સમાજ બધું જ છેવટે ખરાબ થઈ નષ્ટ થઈ જાય છે – કેમ કે દરેક વ્યક્તિને અંદરથી સડો લાગી ગયો છે. તેથી જ કોઈપણ પ્રકારની શાસન પ્રણાલી (ગવર્મેન્ટ) કે આર્થિકનીતિ, ભલે ને એક બીજી કરતાં બેહતર હોય તો પણ છેવટે તો સઘળાં રાજનીતિક અને અર્થશાસ્ત્રીય તંત્રો ભાંગી જ પડે છે – કારણ કે આ પ્રણાલીમાં અને આ વિચારધારા ધરાવતા માણસોની આદતો/સ્વભાવને લીધે આ આખું તંત્ર કે પ્રણાલી છેવટે તો ધ્વસ્ત થઈ જાય છે. તેથી જ અત્યાર સુધીની બધી પેઢીઓમાં આપણે સૌથી વધારે સુશિક્ષિત હોવા છતાં આ જ બધી સમસ્યાઓથી આપણે પણ ક્યાં બાકાત છીએ! કારણ કે આ આપણા ઉપરછલ્લા ભણતર કરતાં કંઈ કેટલુંય વધારે ઊંડું અને ગહન છે. તેથી જ પ્રતાસના મંત્રની પ્રાર્થના સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ – કારણ કે તે આપણને બહુ સરસ અને સાચી રીતે વર્ણવે છે.     

પાપ – લક્ષ્ય ‘ચૂકી’ જવું

આ પણ કારણ છે કે જેથી કોઈપણ ધર્મ તેના સમાજ માટેની પરિકલ્પના પરિપૂર્ણ નથી કરી શક્યું –જો કે નાસ્તિકો પણ એ નથી કરી શક્યા (સ્ટાલિનના સોવિયેત યુનિયન, માઓના ચીન, પોલ પોટના કંબોડિયાનો વિચાર કરો) – કારણ કે આપણા વિશે કશુંક એવું છે જેથી આપણે આપણું દર્શન કે લક્ષ્ય ચૂકી જઈએ છીએ. આપણી આ પરિસ્થિતિને ‘ચૂકી જવું’ એ શબ્દપ્રયોગ એકદમ સચોટ રીતે અભિવ્યક્ત કરે છે. પવિત્ર બાઈબલની એક કલમ (પંક્તિ) એવું ચિત્ર રજુ કરે છે જે આપણને આ સારી રીતે સમજવા માટે ઉપયોગી છે. તે આમ કહે છે   

  16 આ પસંદ કરેલા 700 સૈનિકોને ડાબા હાથે લડવાની તાલિમ આપવામાં આવી હતી. અને તેઓ નિશાન ચુક્યાવગર સારી રીતે નિશાન તાકીને ગોફણમાંથી પથ્થર ફેંકી શકતા હતાં.

ન્યાયાધીશો ૨૦:૧૬

આ કલમ એવા યોધ્ધાઓનું વર્ણન કરે છે જેઓ ગોફણ ચલાવવામાં એવા પ્રવીણ છે કે વાળભર પણ નિશાન ચુકે નહિ. મૂળ હિબ્રુ શબ્દ જેનું ભાષાંતર ‘ચૂકી જવું’ છે તે יַחֲטִֽא׃.(યહાતી) છે. આ જ હિબ્રુ શબ્દનું ભાષાંતર આખા બાઈબલમાં પાપ તરીકે પણ થયું છે. આ જ હિબ્રુ શબ્દનું ભાષાંતર ‘પાપ’ કરવામાં આવ્યું જયારે યુસફ જેને ઈજીપ્તમાં એક ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો, તેણે પોતાના માલિકની પત્નીની વિનંતી છતાં તેની સાથે વ્યભિચાર કરવાની મના કરી દીધી. યુસફે તેણીને આમ કહ્યું:   

9 આ ઘરમાં માંરા કરતાં કોઈનું વધારે ચલણ નથી. તેમ શેઠે કોઈ વસ્તુથી મને બાકાત રાખ્યો નથી, એક તમાંરા વિના, કારણ કે તમે તેમનાં પત્ની છો. માંટે આવું મોટું કુકર્મ કરીને, હું દેવનો ગુનેગાર શી રીતે થઈ શકું?”

ઉત્પત્તિ ૩૯:૯

વળી દસ આજ્ઞા આપ્યા પછી બાઈબલ આમ કહે છે:

  20 એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે દેવ તો તમાંરી કસોટી કરવા આવ્યા છે, જેથી તમે બધા ગભરાતા રહો અને પાપ ન કરો.”

નિર્ગમન ૨૦:૨૦

આ બંને જગ્યાએ એક જ હિબ્રુ શબ્દ વપરાયો છે જે יַחֲטִֽא׃ (યહાતી) છે જેનો તરજુમો ‘પાપ’ કરાયો છે. આ એ જ શબ્દ ‘ચૂકી જવું’ (નિશાનચૂક) છે જે ગોફણના યોદ્ધાઓ જે નિશાન તાકતા તેના સંદર્ભમાં વપરાયું છે વળી માનવીના એકબીજા સાથેના વ્યવ્હારમાં પણ વપરાયું છે. આ ચિત્ર ‘પાપ’ સમજવામાં આપણી સહાયતા કરે છે. યોદ્ધા પથ્થર લઈ ગોફણથી નિશાન તાકે છે. જો તે ચૂકી જાય તો તેનો હેતુ નાકામ થઈ જાય છે. આ જ પ્રમાણે આપણને ઈશ્વરની પ્રતિમામાં બનાવવામાં આવ્યા હતા જેથી આપણે ઈશ્વર તેમજ અન્યોની સાથે યોગ્ય વ્યવહાર કરવા દ્વારા નિશાન તાકી શકીએ અથવા લક્ષ્ય પાર પાડી શકીએ. ‘પાપ’ એટલે આપણે માટે જે ઠરાવવામાં આવ્યું તે હેતુ કે લક્ષ્ય ચૂકી જવું, જે આપણે આપણી વિવિધ વ્યવસ્થાઓ/પ્રણાલીઓમાં પછી તે કોઈ વિચારધારાને લગતી હોય કે ધાર્મિક હોય તેમાં પણ આવી જ અભિલાષા રાખવામાં આવતી હોય છે. 

‘પાપ’ની માઠી ખબર – મુદ્દો સત્યનો છે, વ્યક્તિગત પસંદગીનો નહિ

આ પતિત અને લક્ષ્ય-ચૂકી ગયેલ માણસજાતનું  ચિત્ર કંઈ સારું નથી, સારું લાગી શકે એવું પણ નથી, કે પછી આશાવાદી પણ નથી. વર્ષોથી લોકો આ શિક્ષણ સબંધી મારો સખ્ત વિરોધ કરતા આવ્યા છે. મને યાદ છે કેનેડાના મહાવિદ્યાલયમાં એક વિદ્યાર્થી બહુ ગુસ્સાથી મારી સામે જોતા બોલ્યો, “હું તમારી વાત પર વિશ્વાસ નથી કરતો કારણ કે તમે જે કહો છો તે મને પસંદ નથી”. હવે કદાચને આપણને આ ના પણ ગમે, પણ આપણને શું પસંદ છે તે પર ધ્યાન આપીશું તો અહીં જે મુખ્ય મુદ્દો છે તે ચૂકી જઈશું. આપણને કશું ‘પસંદ પડે’ તેને તે બાબતની સાચી કે ખોટા હોવા સાથે શું લેવાદેવા હોય? મને મહેસુલ, યુધ્ધો, એઈડ્સ અને ધરતીકંપો બિલકુલ પસંદ નથી – જો કે કોઈને પસંદ નથી – પરંતુ તેથી તે ખતમ થઈ જતા નથી, વળી આપણે તેમને નજરઅંદાજ પણ કરી શકતા નથી.

કાનુનની સર્વ પ્રણાલી, પોલીસ, તાળાં, ચાવીઓ, સુરક્ષા વગેરે આપણે સઘળાં સમાજમાં ઉભા કરવામાં આવ્યા છે જેથી એકબીજાથી આપણું રક્ષણ થાય જે આપણી સાથે કશું ખોટું હોવાની ચાડી ખાય છે. કુંભમેળો કરોડો લોકોને પોતાના ‘પાપ ધોઈ નાખવા’ દોરી લાવે છે તે હકીકત જ દર્શાવી દે છે કે આપણે પોતે જ જાણીએ છીએ કે આપણે લક્ષ્ય ‘ચૂકી ગયા’ છે. સ્વર્ગ માટે બલિદાનની જરૂરીયાતનો વિચાર સર્વ ધર્મોમાં જોવા મળે છે જે સંકેત આપે છે કે આપણા સબંધી કશુંક ખોટું છે. વધારે નહિ તો પણ આ સિધ્ધાંતનો વિચાર-વિમર્શ યથાર્થ છે એટલું તો સ્વીકારવું જ રહ્યું.

આ પાપનો સિધ્ધાંત બધા ધર્મોમાં, ભાષામાં, અને દેશોમાં જોવા મળે છે – જે આપણ સર્વને લક્ષ્ય ‘ચૂકી જવાનું’ ભાન કરાવે છે સાથે એક અગત્યનો પ્રશ્ન પણ ઊભો કરે છે. ઈશ્વર આ બાબતે શું કરશે? આ સંદર્ભે ઈશ્વરના પ્રતિભાવ (પ્રત્યુત્તર) તરફ હવે પછીના લેખમાં જોઈશું – જેમાં આવનાર ઉદ્ધારક વિશે પ્રથમ બાહેંધરી અથવા વાયદા સબંધી આપણે જોઈશું – આપણે માટે મોકલવામાં આવેલ પુરૂષા વિશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *